નર્મદા નદીમાંથી રેતી ભરતા ૧૮ ડમ્પર અને ૪૩ નાવડીઓ જપ્ત કરતું તંત્ર
મહેસુલ વિભાગ, ખાણખનીજ, પોલીસ અને આરટીઓ કચેરીના અધિકારીઓની ટીમ એક સાથે ત્રાટકી
વડોદરા જિલ્લામાં નર્મદા નદીના પટ માથી રેતી ખનન-વહન કરનાર ભુમાફિયા પર વહીવટી તંત્રએ તવાઇ બોલાવી છે અને ઓવર લોડેડ ૧૮ રેતીના ડમ્પર, ૪૩ ગેરકાયદે ચાલતી નાવડીયો જપ્ત કરી છે.
નર્મદા નદીના તટમાથી ભુમાફિયા દ્વારા રેતી ખનન કરી નિયમોનો ભંગ કરી વહન કરતા હોવાની રજુઆતોને પગલે કલેક્ટર શ્રી અતુલ ગોર તથા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદે આ બાબતે વહીવટી અધિકારીઓની ટીમ બનાવી ભુમાફિયાઓ પર લગામ કસવા સૂચના આપી હતી.
જે અનુસંધાને પ્રાન્ત અધિકારી શ્રી કરજણ આશિષ મિયાત્રાના અધ્યક્ષ સ્થાને સર્ચની કામગીરી કરવાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેના ભાગરૂપે ભૂસ્તરશાસ્ત્રી સુશ્રી સુનીતા અરોરા તથા કરજણ પીઆઈ એ.કે.ભરવાડ તથા આરટીઓ સી.આર.પટેલ તમામ વહીવટી તંત્રની સંકલિત ટીમ બનાવી અલગ અલગ જગ્યઓએ રેતીના ડમ્પર ભરી નીકળતા વાહનોને ચેક કરવામા આવ્યા હતા. જે ચેકિંગ દરમ્યાન ૭૦ રેતી ભરેલ ડમ્પરોને ચેક કરતા તેમાથી ૧૮ ડમ્પર જે ઓવરલોડ મળી આવ્યા હતા. જે ૧૮ ડમ્પરોને ખાણ ખનીજ અધિકારી શ્રી સુનીતા અરોરા દ્વારા સીઝ કરવામા આવ્યા છે, જેઓના ઓવરલોડની ક્ષમતા મુજબ તેઓની દંડનીય કાર્યવાહી કરવામા આવનાર છે.
વધુમા કરજણ પોલીસ દ્વારા રેતીના ડમ્પર ભરી નીકળેલ વાહન ચાલકોએ ટ્રાફીકના નિયમોનું પાલન નહી કરવા બદલ ૫૦ વાહન પકડી રૂ. ૨૪,૫૦૦ નો સ્થળ દંડ વસુલ કરવામા આવ્યો છે.
આર.ટી.ઓ. દ્વારા રેતીના ડમ્પર ચાલકોને પકડી તે પૈકી નિયમો ભંગ કરનાર ૩૫ વાહનોના મેમો બનાવી રૂ. ૪,૩૮,૫૦૦ નો સ્થળ દંડ વસુલ કરવામા આવ્યો છે.
વધુમા ભુસ્તર શાસ્ત્રી શ્રી સુનીતા અરોરા દ્વારા ઓઝ, દેલવાડા, સાયર, કહોણા, ફતેપુરા, પુરા તથા સોમજ ગામમા નર્મદા નદીના પટમા ગેરકાયદે ચાલતી ૪૩ નાવડીઓ સીઝ કરવામા આવી છે. જે બાબતે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આમ વહીવટી તંત્ર તથા પોલીસ દ્વારા ગેરકાયદે ચાલતા ભુમાફિયાઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરવામા આવી છે તેમજ ભવિષ્યમા પણ અવાર નવાર સરપ્રાઇઝ ચેકિંગ કરી ગેરકાયદે ખનન-વહનની પ્રવૃતિ અટકવવામાં આવશે.