



કોમી એક્તાનું પ્રતીક:ભરૂચ ભીડભંજન હનુમાન મંદિરે 485 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો મેળો યોજયો
ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે 485 વર્ષથી માગશર મહિનાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળાની પહેલા ગુરૂવારે જ રંગત જોવા મળી હતી.
શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.
આજે પેહલા ગુરૂવારે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ અર્પણ કર્યા હતા. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.અંદાજે 485 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ભુલતા નથી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી