ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડીમાં મગરોની વચ્ચે ગ્રામજનોનું ભયજનક અવાગમન
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડી પર રાજપરા ગામ પાસે નાળુ નહી બનાવવામાં આવતાં રાજપરા સહિતના 6 થી વધારે ગામના 5 હજાર લોકોને હાલાકી વેઠવી પડે છે. ખાડીના ધસમસતાં પ્રવાહમાંથી પસાર થઇ લોકો રાજપરાના સામે કાંઠે પહોંચી રહયાં છે. જો ખાડી પર નાળુ નહિ બનાવવામાં આવે તો સાત ગામના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
ઝઘડિયાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા, ઉચ્છદ સહિતના ગામોના લોકો માટે દર વર્ષે ચોમાસું હાલાકીની ભરમાર લઇને આવે છે. આ ગામોમાંથી મધુમતી ખાડી પસાર થાય છે અને ચોમાસામાં ખાડીમાં જળપ્રવાહ વધી જતાં લોકોને જીવના જોખમે ખાડી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠા સુધી જવું પડે છે.
રાજપરા ગામ પાસે નાળુ બનાવવામાં આવતું નહિ હોવાના કારણે લોકોને ખાડીમાંથી પગપાળા પસાર થવું પડે છે. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ડેમના પાણી ખાડીમાં આવી રહયાં હોવાથી જળસપાટી વધી છે. રાજપરા સહિતના ગામના લોકો કેડસમાણા પાણીમાંથી દુધની કેનો લઇ સામે કિનારે આવેલાં હરીપુરા અને ઉચ્છદમાં દુધ આપવા જાય છે. રાજપરા અને આસપાસના સાત ગામના લોકોએ નાળુ નહી બનાવવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપારડી નજીકથી પસાર થતી મધુમતી ખાડીમાં છેલ્લા ઘણા સમયથી મગરોની પણ હાજરી જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં મગરે દેખા દેતાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. ખાડીમાં મગરોની હાજરી વચ્ચે લોકો ખાડી પસાર કરી રહયાં છે.