



ભારતના કેમિકલ હબ ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ ભારતના કેમિકલ હબ ભરૂચ જિલ્લામાં પણ પોલીસ સક્રિય બની ગઈ છે. જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કે ઉપયોગ કરતી 350 કંપનીઓમાં SOGની 4 ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ છે.
બોટાદમાં લઠ્ઠાકાંડમાં 55 જેટલા લોકોના મોત થયા હતા. જેથી સમગ્ર રાજ્યમાં ઘટનાને લઈ ચેકિંગ, દરોડા અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લોએ ભારતનું કેમિકલ હબ છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા, વિલાયત, દહેજમાં મિથેનોલનું ઉત્પાદન, ઉપયોગ અને વેચાણ કરતી 350 જેટલી કંપનીઓ આવેલી છે. ત્યારે મેથેનોલથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં હવે તંત્ર અને પોલીસ વધુ સક્રિય બની છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની 4 ટીમો બનાવી મિથેનોલનો ઉપયોગ અને ઉત્પાદન કરતી આ 350 કંપનીઓમાં હવે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં કંપનીઓમાં મિથેનોલના સ્ટોકના રજીસ્ટર ચેક કરવામાં આવી રહ્યા છે.
પોલીસે તમામ કંપનીઓને તાકીદ કરી છે. મિથેનોલ કેમિકલના સ્ટોકની દેખરેખ માટે જવાબદાર અધિકારીને રાખે. સાથે પરિવહન ચેઇનમાં પણ તેની ચોરી, ઉચાપત, સગેવગે ન થાય તે જોવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. કંપનીઓ ઉપર તપાસમાં SOG પી.આઈ. વી.બી. કોઠીયા, પી.એસ.આઇ. એમ.એન.રાઠોડ, એમ.આર. સકુરિયાની ટીમો જોડાઈ છે.